Gangasati nu Adhyatma Darshan by Bhandev
સંત કવયિત્રી ગંગાસતીના ભજનો અધ્યાત્મનું સરળ રીતે જ્ઞાાન આપનારા 'નાના ઉપનિષદો' જ છે !
'સૌરાષ્ટ્રના મીરાબાઈ'નું બિરુદ પામેલા સંત કવિયત્રી ગંગાસતીના ભજનો અને પદોનું સાહિત્યમાં અદકેરું સ્થાન છે
એક મત અનુસાર એમનો જન્મ સૌરાષ્ટ્રના પાલિતાણાના રાજપરા ગામના રાજવી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ભાઈજીભા જેસાજી સરવૈયા અને માતાનું નામ રૃપાળી બા હતું. ૧૮૬૪માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સમઢિયાળાના ગોહેલ જાતિના રજપૂત રામસંગ મુખી અને બાજીબાના પુત્ર કહળસંગ(કસળસંગ) સાથે એમના લગ્ન થયા હતા.
એક મત એવો છે કે એમને બાઈ રાજબા અને હરિબા નામની બે પુત્રીઓ જ હતી. બીજો મત એવો છે કે એમને અજુભા નામનો એક માત્ર પુત્ર જ હતો. ગંગા સતીએ જેમને ઉદ્દેશીને આ ભજ્નો રચ્યા હતા એ પાનબાઈ વિશે પણ બે મતો પ્રવર્તે છે. એક મત એવો છે કે ગંગા સતીની સાથે એમના લગ્ન બાદ પાનબાઈ દાસી અને સહેલીના રૃપે આવી હતી.
બીજો મત એવો છે કે તે અજુભાની પત્ની હતી. એટલે કે ગંગાસતીની પુત્રવધુ હતી.
ગંગા સતીનું દાંપત્યજીવન સુખી હતું. ગંગાસતી, કહળચંદ અને પાનબાઈ એકઠા થઈને સત્સંગ કરતા. ગિરિનાર પર સાધના કરનારા રામેતવન ગંગાસતીના ગુરુ હતા એમ મનાય છે.
એમની પાસે ગંગાસતીએ યોગ, તંત્ર, વેદાંત વગેરેનું ગૂઢ જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું જે એમના ભજનોમાં પ્રતિબિંબિત થાય છે, એકવાર એક મત્યુ પામેલી ગાયને સંતોના ચરણોદકની મહૌષધિથી જીવતી કરવાનો ચમત્કાર કહળચંદે કર્યો હતો. પણ પાછળથી તેને પ્રશ્ચાત્તાપ થયો હતો કે મરેલાને જીવતા કરવાનું કામ તો ઇશ્વરનું છે.
મેં એમાં હસ્તક્ષેપ કરી અભિમાન લાવનારું મોટું પાપ કર્યું. એના પ્રાયશ્ચિત રૃપે તેમણે જીવતા સમાધિ લઈ લેવાનો નિશ્ચય કર્યો. ગંગા સતીએ એમનું અનુસરણ કરવા તૈયારી કરી ત્યારે કહળચંદે તેમને રોક્યા હતા અને પાનબાઈ આધ્યાત્મિક પરિપકવતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ધરતી પર રોકાવા સમજાવ્યા હતા. ગંગાસતીએ ગુરુ બની પાનબાઈને ઉપદેશ આપવાનો આરંભ કર્યો હતો.
બાવન દિવસ સુધી એ ચાલુ રહ્યો હતો. બાવન દિવસોમાં બાવન ભજનોની રચના કરી ગંગાસતીએ પણ સ્વેચ્છાએ દેહ છોડી દીધો હતો. એના ચોથા દિવસે પાનબાઈએ પણ ગંગાસતીનું અનુસરણ કરી દેહત્યાગ કર્યો હતો.
ગંગાસતીના બાવન ભજનોને 'નાના ઉપનિષદો' કહેવામાં આવે છે. ગંગાસતીના બાવન ભજનો આધ્યાત્મિક વિકાસની સુગમ, સરળ કેડી કંડારે છે. એમાં યોગ અને જ્ઞાાની ગૂઢ બાબતનું માર્મિક નિરૃપણ થયું છે. એમ છતાં એનો મુખ્ય સૂર પ્રેમલક્ષણા ભક્તિનો જ છે.
'ગુરુજીનું ધ્યાન' પદમાં તે કહે છે- 'નવધા ભગતીમાં નિરમળ રેવું ને શીખવો વચનુંનો વિરાવાસ રે, સદગુરુને પૂછીને પગલાં ભરવાં ને થઈને રહેવું તેના દાસ રે.'પ્રેમલક્ષણા ભક્તિ'પદમાં તે કહે છે- 'પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રકટી, તેને કરવું પડે નહીં કાંઈ રે.' ગંગાસતીના ભજનોમાં યોગની પ્રક્રિયા સરળપણે સમજાવામાં આવી છે.
એમાં આસન, સ્વરભેદ, ઇડા- પિંગળા-સુષુમણા નાડીઓનું શુદ્ધીકરણ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એ પંચવિધ પ્રાણનું સંયમન, સુરત શબ્દયોગ, સોહમ ઉપાસના, અજપાજાપ જેવી યૌગિક ક્રિયાઓનો ઉલ્લેખ અને સમજૂતી પ્રાપ્ત થાય છે. એમના પદોમાં વચન-વિવેકી જે નર-નારી પાનબાઈ, તેને બ્રહ્માદિક લાગે પાય રે, જયારથ વચન સાન જે તો જાણી પાનબાઈ, તેને કરવું હોય તેમ થાય રે.'
ગંગાસતીનું સર્વાધિક પ્રસિદ્ધ ભજન 'દેખાડું એ દેશ' છે. એમાં એ કહે છે- 'વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ ! નહિતર અચાનક અંધાર થાશે, જોત રે જોતામાં દિવસો વયા ગયા પાનબાઈ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે.
ભાઈ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ ! આ તો અધૂરિયાને નો કે'વાય, આ તો ગુપતરસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો પૂરણ સમજાય ભાઈ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં, પાનબાઈ ! જાણી વિયોજીવની જાત, સમજાતિ-વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત ભાઈ રે ! પિંડે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ ! તેનો દેખાડું હું તમને દેશ, ગંગા રે સતી એમ બોલિયા રે, ત્યાં નહીં માયાનો જરી એ લેશ. અધ્યાત્મના માર્ગમાં સજગતા, સક્રિયતા અને સ્થિરતા જરૃરી છે. મોતીને પરોવવાનું કામ અઘરું છે.
એમાં દૃષ્ટિની સૂક્ષ્મતા, હાથની સ્થિરતા અને ચિત્તની એકાગ્રતા જોઈએ. આ મોતી પરોવવાનું કામ પાછું સૂર્યના પ્રકાશમાં કે ચંદ્રની ચાંદનીમાં નહીં, અંધારી રાતે પળભર માટે થતા વીજળીના ચમકારાના પ્રકાશમાં કરવાનું છે.
અજ્ઞાાનની અંધારી રાતમાં પરમાત્માના સ્વરૃપ સાથે આત્માને જોડવાનું કામ જ્ઞાાનના ક્ષણિક પ્રકાશમાં સાવધાનીપૂર્વક કરવાનું છે. જો એ પળ ચૂકાઈ જાય તો પછી અંધારું નિશ્ચિત છે. જોતજોતામાં દિવસ-વર્ષો પસાર થઈ જશે.
સામાન્ય રીતે એક દિવસમાં ૨૧,૬૦૦ એટલે ૬૦ વર્ષ એવો અર્થ પણ લેવાય. જો ૬૦ વર્ષની જિંદગીમાં ભગવત્- અનુસંધાન ન કર્યું તો જીવનને કાળરૃપી મૃત્યુ આવીને ખાઈ જશે એવો જ્ઞાાનનો સુંદર ઉપદેશ છે.
અહંતા- મમતા છોડી, નિર્મળ બનીને આવે તેના અસ્તિત્વમાં નવી ભાત પાડી આપવાની ખાતરી ગંગાસતી આપે છે. એ પછી એને પરમાત્માના દિવ્ય ધામના દર્શન થાય છે.
(Courtesy:: વિચાર વીથિકા- દેવેશ મહેતા)
|