અનંતનો અઠંગ અભ્યાસી શ્રીનિવાસ રામાનુજન’ નામનો બૃહદ ચરિત્રગ્રંથ ગણિતના વરિષ્ઠ અભ્યાસીઓ અરુણ મ.વૈદ્ય અને નટવર ન. રોઘેલિયા તાજેતરમાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લાવ્યા છે. ભારતના વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી વિશે અમેરિકન વિજ્ઞાનલેખક રૉબર્ટ કાનિજેલે લખેલી જીવનકથાનું નામ છે ‘ધ મૅન હુ ન્યુ ઇનફિનિટિ : અ લાઇફ ઑફ ધ જીનિઅસ રામાનુજન’(1991). વાચન અને અનુવાદ માટે પડકારરૂપ એવી પોણા પાચસો પાનાંની આ જીવનકથા તેના સંશોધન અને વ્યાપથી અચંબામાં મૂકી દે છે.
ચીંથરે વીંટ્યા રતન રામાનુજન (1887-1920)ની વાત ભારતમાં હવે જાણીતી છે. તામિલનાડુના એરોડના રુઢિચુસ્ત બ્રાહ્મણવાદી માહોલમાં ગરીબ ઘરમાં જન્મીને કુંભકોણમમાં ભણેલાં રામાનુજન લોકોનાં કૌતુક, શિક્ષણવ્યવસ્થાની જડતા અને બેરોજગારીની વચ્ચે અસાધારણ બુદ્ધિથી ગણિતનો અભ્યાસ કરતા રહ્યા. ભારતના શાસક ઇંગ્લેન્ડના પ્રભાવશાળી ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી (1877-1947)ની પરખ અને તેમની અસાધારણ સહાયથી કેમ્બ્રિજમાં પાંચ વર્ષ સંશોધન કરીને માનસન્માન પામ્યા. હવામાન,ખોરાક, એકલતા અને અલગ માહોલની મુશ્કેલીઓની વચ્ચે તબિયતના ભોગે ગણિત કરતાં ક્ષયરોગનો ભોગ બન્યા. ભારતમાં પાછા આવ્યા, કથળેલી તબિયતે પોંખાયા અને બરાબર એક વર્ષ પછી છવ્વીસ એપ્રિલે અવસાન પામ્યા. મહેનતુ, ધાર્મિક અને સાદાસીધા પ્રતિભાવંત રામાનુજને ગણિતમાં કરેલાં કામ આજે પણ અભ્યાસીઓને નિતનવા સૂચિતાર્થો આપે છે. મૉક થિટા વિધેયો કૅન્સર,કમ્પ્યુટર, પોલાઇમર કેમિસ્ટ્રી જેવાં ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થયાં છે એમ લેખક નોંધે છે.
અનુવાદકો લખે છે: ‘કાનિજેલની કથા રામાનુજનના ગણિતજ્ઞ તરીકેના ઉદભવની ઘટનાને સર્વગ્રાહી નજરે જુએ છે. એ રામાનુજનના જીવન તથા મૃત્યુને તત્કાલીન શિક્ષણવ્યવસ્થાની દૃષ્ટિએ જ નહીં પણ રામાનુજનના મનોવ્યાપારો,તેના સ્થળ,કાળ,મૂળભૂત સંસ્કારો અને વહેમો, તેના મિત્રોના પ્રતિભાવો,તેના કુટુંબના પ્રતિભાવો ,આર્થિક વિટંબણાઓ,તેની વારંવારની નિષ્ફળતાઓ ,તેના ભવિષ્ય પર અસર કરનારી વિશ્વભરની ઘટનાઓ એ સહુના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે.’
આ વિધાનની યથાર્થતા ચરિત્રમાં સર્વત્ર જોવા મળે છે. રામાનુજનના કુળ,મૂળ,પરિવાર, ઉછેર, પલાયનો, ગણિતઉદ્યમ, ઉપેક્ષા, મદદ, ઉડ્ડયનો, વિદેશવાસ,વ્યાધિ જેવા અપેક્ષિત પાસાં તો કાનિજેલ ભરપૂર વિગતો સાથે આપે છે. પણ તેમનો પટ એટલો બધો વિસ્તૃત છે કે નાયકના જીવન સાથે સંકળાયેલાં કાવેરીનાં મેદાનો, કુંભકોણમ,મદ્રાસ, કેમ્બ્રિજ જેવાં સ્થળોનાં ઇતિહાસ,ભૂગોળ, વર્તમાન,અર્થતંત્ર, સમાજવ્યવસ્થા વિશે પણ તે વિસ્તારથી લખે છે. તદુપરાંત ભારતમાં અંગ્રેજી શાસનની સનદી સેવાઓ, રામાનુજનની પ્રતિભા તરફનો વિદ્વાનોનો દૃષ્ટિકોણ,રામાનુજનની નોટબુક્સ, કેમ્બ્રિજમાં ગણિત માટેની અત્યંત દુષ્કર ટ્રાઇપોઝ પરીક્ષા, રામાનુજનની માંદગી વિશેનાં વર્ણનો છે. શાળાનાં વર્ષોમાં રામાનુજનની પ્રતિભાને મોટો ધક્કો આપનાર ગણિતના એક પુસ્તક, ઇંગ્લેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન કેમ્બ્રિજની બેહાલી, ક્ષયરોગ વિશે દુનિયાભરનાં મંતવ્યો અને સંશોધનો જેવી બાબતોમાંથી દરેક પર પાનાં ભરીને લખાણો અનેક માહિતીપ્રદ વિષયાંતરોના થોડાક દાખલા છે. દક્ષિણના મંદિરોનું સ્થાપત્ય અને મૂર્તીવિધાન,ત્યાંની પાકી ધાર્મિકતા અને વર્ણવ્યવસ્થા, રામાનુજનની ખાવાની અને બેસવાઊઠવાની ઢબ, ગણિતની બાબતમાં તેનાં આપઓળખ અને આત્મવિશ્વાસ, કેમ્બ્રિજમાં સ્ત્રીઓનું સ્થાન, ભારતીય સમાજ અને રામાનુજનના ઘરમાં સાસુવહુના તણાવ, જેવી સંખ્યાબંધ સૂક્ષ્મતાઓમાં લેખક ઊતરે છે. તેમણે નાયકના જીવન સાથે સાવ પરોક્ષ રીતે સંકળાયેલ લગભગ બધી સામગ્રી વાંચી છે એટલું જ નહીં સ્થળો અને વ્યક્તિઓની મુલાકાત પણ લીધી છે. અનેક રસપ્રદ વ્યક્તિચિત્રો પણ છે. પુસ્તકમાં બે નકશા અને ત્રીસ તસ્વીરો છે. ‘રામાનુજનના ગણિતનો આસ્વાદ લીધા વગર તેના જીવનને મૂલવી શકીએ ખરા ?’ એમ પૂછીને લેખક પુસ્તકમાં અનેક ઠેકાણે આંકડા, ગણતરીઓ અને સમીકરણો મૂકે છે.પુસ્તકનાં છેલ્લાં ચાર પ્રકરણો રામાનુજનના મૃત્યુ બાદ તેમની દેશ અને દુનિયામાં થયેલી કદરબૂજ વિશેનાં છે.
છેલ્લાં બાર પાનાં સહિત પુસ્તકનો લગભગ ત્રીજો ભાગ હાર્ડીની કથા પણ આપે છે.વળી બે ગણિતીઓ વચ્ચે લાગણી , બુદ્ધિ અને વિષયના સ્તર પરના અત્યંત સંકુલ સંબંધો પણ પુસ્તક આલેખે છે. રામનુજનના ધર્મ અને ઇશ્વર માટેના લગાવનું, એક પ્રકરણ ઉપરાંત અન્યત્ર પણ વિશ્લેષણ કરવાનું લેખક ચૂકતા નથી. તેમણે ઠીક તટસ્થતાથી આપેલી વિગતો પરથી પણ એવું તારણ કાઢી શકાય કે ઇંગ્લેન્ડની આબોહવામાં બિલકુલ માફક ન આવે તેવો દક્ષિણ ભારતીય ખોરાક અને કડક મરજાદીપણાથી જાળવી રાખવામાં રહેલી ધાર્મિક પકડે રામાનુજનના સ્વાસ્થ્યને ભીંસમાં લીધું. જોકે રામાનુજન પરમ શ્રદ્ધાથી કહેતા : ‘જો કોઈ સમીકરણ ભગવાનનો વિચાર વ્યક્ત ન કરતું હોય તો મારે માટે એ નિરર્થક છે.’
બંને અનુવાદકો ગણિતના પૂર્વ અધ્યાપકો છે. ગુજરાત ગણિત મંડળની પ્રવૃત્તિઓ,‘સુગણિતમ’ સામયિક અને પુસ્તકો થકી તેમણે ગણિત સંશોધન અને પ્રસારમાં મહત્વનો ફાળો આપ્યો છે. સાહિત્યિક ભાષા અને સંદર્ભો સાથેના અંગ્રેજીમાં લખાયેલાં જંગમ પુસ્તકનો અનુવાદ ધોરણસરની ગુણવત્તા ધરાવે છે. પારિભાષાના ઉપયોગમાં પ્રમાણભાન જળવાયું છે..તેમની દોઢ વર્ષની મહેનતથી મળેલો આ મહત્વનો ગ્રંથ ગુજરાતી વાચકો સુધી પહોંચે તે માટે પ્રકાશક નૅશનલ બુક ટ્રસ્ટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવા જોઈએ. સંજય શ્રીપાદ ભાવે