Terava By Kavi Dad (Gujarati) By Dadudan Gadhavi
ટેરવા -ચારણ કવિશ્રી 'દાદ' ની સમગ રચનાઓનો ગ્રંથ કવિ 'દાદ' દાદુદાન ગઢવી કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. કવિના સર્જનો અનેક સુપ્રસિધ્ધ કલાકારોના કંઠેથી સતત વહેતા રહ્યા છે. દાદની રચનાઓ તેના સરળ તથા પ્રવાહી કાવ્ય તત્વ તેમજ ગેય હોવાથી તેની રજૂઆત પણ ચિત્ત આકર્ષક રહી છે. ઉપરાંત કવિ દાદ પોતે પણ માતા સરસ્વતીની કૃપાથી સુંદર રચનાઓનું નિજાનંદે સર્જન કરવા ઉપરાંત મીઠા કંઠે તેની ધારદાર રજૂઆત પણ કરી શકે છે. કવિ શ્રી કાગ (ભગતબાપુ) પછી આ ઉભય કળાઓ તેમને વરી છે. કવિ દાદની શાખ (અટક) મીસણ છે. આ શાખામાં સોલંકી યુગના ખ્યાતનામ કવિઓ આણંદ અને કરમાણંદ થઇ ગયા. કવિનું પૂરૂં નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી) વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે ૧૯૪૦માં કવિનો જન્મ થયો. ફોર્મલ શિક્ષણ સામાન્ય પરંતુ કવિત્વ શક્તિ અસાધારણ. સાત દાયકાથી વધારે અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય તથા ચિરંજીવી ભેટ સમાજને ચરણે ઘરી છે. છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસે છે. પૂજય મોરારીબાપુએ યથાર્થ કહયું છે કે સમાજને સાદ પાડીને અનેક રીતે પ્રેરણા આપનાર કવિ ‘દાદ’ ને સમાજે દાદ આપવી જોઇએ. આ વાત સાચી પણ પડી છે. ગુજરાત તથા ગુજરાત બહાર વસતા અનેક ગુજરાતી ચાહકોએ કવિ દાદના સર્જનો ભરપૂર રીતે માણ્યાં છે. કવિ દાદની રચનાઓને ચારે દિશાએથી ભરપૂર દાદ મળી છે