Gadhyaparva Varta Sanchay (Set Of 2 Books)
ગદ્યપર્વ-વાર્તાસંચય: ભાગ-૧-૨
સંપાદક: ગીતા નાયક..
ગીતા- ભરત નાયક. સર્જક દંપતીએ પૂરાં વીસ વર્ષ સામે પૂરે તરીને ગદ્યપર્વ સામયિક ચલાવ્યું. ગુજરાતી સાહિત્યમાં સાહિત્યનાં સામયિકોને શી શી વિટંબણા નડી છે, સુપેરે ચાલીને પછી કાળની ગર્તામાં વિલીન થઈ ગયા છે તેનો લાંબો ઈતિહાસ છે. એ બધી આપદાઓ આ દંપતીએ વેઠી. પણ વીસ વર્ષ સાહિત્યના ઉચ્ચ માપદંડો જાળવીને ગદ્યપર્વ પ્રગટ કરતા રહ્યા.
આખરે બંધ પડ્યું, પણ દંપતીને મનમાં ખટકો રહ્યો. સામયિક તેની બધી સામગ્રી સાથે શું વીસરાઈ જશે! ફરી ભગીરથ પ્રયત્ન કર્યો એમાંથી બને શકે તેટલી સામગ્રીને બચાવી લેવાનો. ‘ગદ્યપર્વ’ જાણે કહી રહ્યું છે ‘રમ્યાણી વીક્ષ્ય.’ હવે મને થોડું અંતર રાખીને જો. મે, ૧૯૮૮થી ૨૦૦૮ દરમિયાન ગદ્યપર્વને પંચોતેર અંકોમાંથી- ત્રણસોથી વધુ વાર્તાઓ મળી. સાહિત્યના બીજા પ્રકારોમાંય સુંદર આલેખન થયું. મજાની વાત એ છે કે હજી આજે પણ ‘ગદ્યપર્વ’ના નવા વાચક થવા, લવાજમ ભરવા માટેના પત્રો મળે છે. એટલે ભાવકોની તૃષા સંતોષવા અને કૃતિઓને જીવતદાન આપવા વાર્તાસંચયના અને અન્ય સ્વરૂપોના સંચયો તૈયાર કરી પ્રગટ કરવા. એ યોજનાના ભાગરૂપે ગુજરાતી વાર્તાઓનો પહેલો દાયકો, ૧૯૮૮થી ૧૯૯૭ અને બીજો દાયકો, ૧૯૯૮થી ૨૦૦૮ એમ બે સંચયો પ્રગટ કર્યાં.
સૌથી મોટું ભગીરથ કામ ત્રણસો ઉપરાંતની વાર્તામાંથી ચૂંટીને, પસંદગી કરીને વાર્તાગુચ્છ બનાવવાનો હતો. એ કામ ગીતા નાયકે સુપેરે પાર પાડ્યું છે. ઝીણી ઝીણી નજરે, વીણીને વાર્તાઓની પસંદગી કરી છે તેથી તો આ વાર્તાગુચ્છ મહેકે છે. એલ્ફિન્સ્ટન કોલેજમાં વર્ષો સુધી ગુજરાતીનું અધ્યાપન, સાહિત્યની ઊંડી સૂઝ, કલાદૃષ્ટિ, સઘળું અનુભવનું ભાથું કામે લગાડી એમણે ગુજરાતી સાહિત્યમાં નોખી ભાત પાડતા આ બન્ને સંચયોનું સંપાદન છે.
બન્ને ભાગમાં ભરત નાયકની પ્રસ્તાવના આ સંગ્રહનું બોનસ છે. પહેલા ભાગમાં તો દરેક વાર્તાની આસ્વાદમૂલક વાત પણ એમણે માંડીને કરી છે. લખે છે આ સંચય (ભાગ-૨)માં આપણા નવ્યલેખકોની વાર્તાઓ માણતાં સારું લાગે છે. એમ લાગે છે કે આપણી આજની ગુજરાતી વાર્તાની પૂંછડીમાં હજી જીવ છે. એમાં સળવળાટ છે. વાર્તા ક્યાંથી, કેવી રીતે આરંભવી, વાર્તામાં અંત કયાં, કેવી રીતે લાવવો, રસકીય ગુણ શી રીતે જાળવવો આવાં અગત્યનાં પાસાં ખીલવતો કસબ એમને હસ્તગત થયો છે.
સાહિત્યરસિક વાચકોને તો આ સંચયો ગમશે જ પણ નવી લેખિનીઓએ પણ આ સંચયની વાર્તા, ટૂંકી વાર્તાઓની વર્કશોપની જેમ વાંચી જવા જેવી ને અભ્યાસ કરવા જેવી છે. આ સંચયો પર પીએચ.ડી. અને એમ.ફિલનો અભ્યાસ થઈ રહ્યો છે એ હરખાવાની ઘટના છે.
|